સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૧૯૯૫ થી ૨૦૨૦ સુધીમાં તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ કુલ ૭૮.૭૬ હેક્ટર વિસ્તારમાં કાર્બોસેલ ખનિજના ખનન માટે કુલ ૩૦ લીઝને મંજૂરી આપવામાં આવી છે, જે હાલમાં કાર્યરત છે. આ કુલ ૩૦ લીઝમાંથી વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીમાં ૧૨ લીઝની માપણી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષમાં આ ૩૦ લીઝમાંથી રાજ્ય સરકારને કુલ રૂ. ૭૭૯ લાખથી વધુની રોયલ્ટી સ્વરૂપે આવક થઈ છે તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતાં ખાણ અને ખનીજ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
મંત્રી શ્રી રાજપૂતે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આ ૩૦ લીઝમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર ખનન અંગે કુલ પાંચ કેસ નોંધાયા છે. આ મંજૂર થયેલી લીઝમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. ગેરકાયદેસર ખનન સામે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કામ લેવામાં આવે છે. આ પ્રકારના કેસમાં ગુનેગારો સામે પાસા તેમજ પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરીને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.