પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં પંચમહાલ જિલ્લામાં ૭૫૩૧ લાભાર્થીઓને કુલ રૂ. ૩૭૬.૫૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ અંગે વિગતો આપતાં રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના આદિજાતિ જિલ્લાઓના નાગરિકો અને ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ટકા ફાળા પેટે લાભાર્થીદીઠ રૂ. ૫૦૦૦ની સહાય આપવામાં આવે છે. જે મુજબ, અરજદારોની રજૂઆતોના આધારે મંજૂર થયેલી અરજીઓના કિસ્સામાં સહાયની રકમ સીધી જ લાભાર્થીના ખાતામાં આરટીજીએસથી જમા કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.