બે મહિલાઓ ચકકર આવતા ઢળી પડી : સારવારમાં ખસેડાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા માટે બંદોબસ્તમાં મુકવામાં આવેલા 29 વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ બંદોબસ્ત દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે મહિલાને પણ ચક્કર આવતા ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી વિગત મુજબ વડોદરા શહેર નજીકના લક્ષ્મીપુરા ગામમાં રહેતા 29 વર્ષના નિતેશભાઇ જરીયા હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત કાર્યક્રમમાં તેમને રવિવારે સવારે 11 વાગ્યાથી ડ્યુટી પર તૈનાત કરવામાં આવ્યા હતા.
રવિવારે આખો દિવસ, રાત અને આજે સવારે પણ તેઓ ડ્યુટી પર હાજર હતા. સવારે 8:00 વાગે નિતેશભાઇ જરીયાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો.
આ ઉપરાંત બે મહિલાઓ ચકકર આવતા પડી જતી તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તારણ મુજબ હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવ્યો હતો. નિતેશભાઇના પત્ની ઘરકામ કરે છે, જ્યારે એક વર્ષનું તેમનું નાનું બાળક પણ છે. બનાવના પગલે તેમના સગા વાલા અને મિત્રો સયાજી હોસ્પિટલ સાથે દોડી આવ્યા હતા.