ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી ’108 ઇમરજન્સી સેવા’ની સમગ્ર ટીમ રાજ્યના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. રાજ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ’108 ઇમરજન્સી સેવા’ શરૂ થઇ ત્યારથી માર્ચ-2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.75 કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત 108 દ્વારા 57.62 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ 21.36 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન-મરણનો સવાલ હોય તેવી આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 16.69 લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં 93,450 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 56,715 એમ કુલ 1.50 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.
રાજ્યમાં ’108 ઇમરજન્સી સેવા’ ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2024 સુધીમાં 1.23 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 15.84 લાખથી વધુ કોલ એટેન્ડ કરીને 59 વાન દ્વારા 3.17 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.