નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ આજે મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરામાં 50 કલાકથી પણ વધુ સમય સુધી ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં નક્સલીઓનો મોટો ભેજાબાજ ‘નંબાલા કેશવ રાવ’ નામની જાણીતા ‘બસવરાજૂ’ ઠાર થયો છે. તાજેતરના વર્ષોમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી અનેક ઓપરેશનો પાર પાડ્યા હતા, જોકે આ એક સૌથી મહત્ત્વનું એન્કાઉન્ટર હોવાનું કહેવાય છે. એમ.ટેક. ડિગ્રી ધરાવતો બસવરાજૂ નક્સલીઓનો સૌથી મહત્ત્વનો કમાન્ડર અને સૌથી મોટો માસ્ટર માઈન્ડ છે, તેના મોતથી નક્સલરાજના જળમૂળ પર મોટો પ્રહાર થયો છે.
સુરક્ષા દળોના જવાનોએ તેને ઠાર કરીને નક્સલી કમાન્ડના મહત્ત્વના માળખા પર પ્રહાર કર્યો છે. બસવરાજૂના મોતથી નક્સલીઓનું સંપૂર્ણ સંચાલન પડી ભાંગવાની પુરેપુરી શક્યતા છે, કારણ કે તેની આગેવાની હેઠળ જ હુમલાના અનેક ઓપરેશનોને અંજામ અપાતા હતા. બસવરાજૂ ભારતના ઈતિહાસમાં કેટલાક મોટા નક્સલી હુમલાના પાછળનો માસ્ટમાઈન્ડ હતો.આ ઓપરેશનમાં એક સુરક્ષાકર્મી શહીદ થયા છે. જ્યારે અન્ય એક ઘાયલ થયા છે. જેમની સ્થિતિ હાલ સામાન્ય છે. મીડિયા સૂત્રો અનુસાર, અથડામણમાં અત્યારસુધી 26થી વધુ નક્સલી ઠાર થયા છે. જેમાં નક્સલીઓનો ટોચનો નેતા કેશવ રાવ ઉર્ફ બસવ રાજ પણ સામેલ છે. બસવ રાજ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તે નક્સલીઓનો મહાસચિવ હતો.
રાજૂ વારંગલ મૂળ આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાનો રહેવાસી હતો, તે વિદ્યાર્થી જીવન દરમિયાન ઉગ્રવાદી ડાબેરી આંદોલનમાં સામેલ થયો હતો. પછી તે લશ્કરી વ્યૂહરચનાકારથી લઈને સીપીઆઈ (માઓવાદી)ના મહાસચિવ પદ પર પહોંચી ગયો. અનેક હિંસક હુમલાઓમાં સામેલ હોવાથી તે એનઆઈએ, તેલંગણા, આંધ્રપ્રદેશ પોલીસની મોસ્ટ વોન્ટેડ યાદીમાં સામેલ હતો.અબુઝમાડના જાટલૂર વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી AK-47, ઈન્સાસ રાઈફલ્સ, અન્ય ઓટોમેટિક શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ઠાર કરેલા નક્સલવાદીઓનો ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. નારાયણપુરના એસપી પ્રભાત કુમારે જણાવ્યા પ્રમાણે, માડ ડિવિઝનના મોટા કેડરને નક્સલવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં ડીઆરજી નારાયણપુર, દંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવના અબુઝમાડમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં 30 નક્સલવાદી માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ આંકડો વધવાની શક્યતા છે.
બીજાપુરમાં પાંચ નક્સલવાદી ઠાર
કેન્દ્ર સરકાર અને સુરક્ષા દળોના સંયુક્ત નક્સલમુક્ત દેશ મિશન હેઠળ છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર બીજાપુર જિલ્લાના કર્રેગુટ્ટા જંગલમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં પાંચ નક્સલવાદીઓના એન્કાઉન્ટર થયા છે. આ વિસ્તારમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી નક્સલવાદીઓની ધરપકડ અને એન્કાઉન્ટર હાથ ધરાયા છે. નક્સલ વિરોધી અભિયાનમાં તેલંગાણા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના હજારો જવાનો જોડાયા છે.