કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ યોજાયેલી સુપર કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણય અંગે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસ સરકાર હંમેશાથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાતિ આધારિત વસ્તી ગણતરીને માન્યતા આપવા નિર્દેશ આપ્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ આ વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ કોંગ્રેસ પક્ષ જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં પણ માત્ર જાતિની ગણતરીનો સર્વે કરવા માગતી હતી. જે સ્પષ્ટપણે સંકેત આપે છે કે, તેઓ રાજકીય લાભ માટે જાતિ આધારિત જ વસ્તી ગણતરીનો ઉપયોગ કરે છે.’
રાજકીય બાબતોની કેબિનેટ કમિટી સુપર કેબિનેટ તરીકે ઓળખાય છે. કારણકે, તેમાં કેન્દ્રીય મંત્રીમંડળના ટોચના મંત્રીઓ સામેલ થાય છે. CCPAના વર્તમાન સભ્યોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ સામેલ છે.